55સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.'
56મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.
57હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો.
58તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે આનંદ કર્યો.
59આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા;
60પણ તેની માએ તેઓને કહ્યું કે, 'એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.'
61તેઓએ તેને કહ્યું કે, 'તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.'
62તેઓએ ઈશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, 'તું તેનું શું નામ પાડવા ચાહે છે?'
63તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, 'તેનું નામ યોહાન છે.'
64તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.
65તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી.
66જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.
67તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે,
68ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.
69જગતના આરંભથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે,
70તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યા છે,
71એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;
72એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે,
73એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;
74એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ
75પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.