Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 2 કાળવ્રત્તાંત

2 કાળવ્રત્તાંત 36

Help us?
Click on verse(s) to share them!
1પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ યરુશાલેમમાં રાજા તરીકે પસંદ કર્યો.
2તે જ્યારે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર ત્રેવીસ વર્ષની હતી અને તેણે યરુશાલેમમાં માત્ર ત્રણ મહિના સુધી રાજ કર્યુ.
3મિસરના રાજાએ તેને યરુશાલેમમાં પદભ્રષ્ટ કર્યો. અને દેશ ઉપર સો તાલંત ચાંદીનો (3,400 કિલોગ્રામ ચાંદી) અને એક તાલંત સોનાનો (34 કિલોગ્રામ સોનું) કર ઝીંક્યો. એ રીતે દેશને દંડ કર્યો.
4મિસરના રાજાએ તેના ભાઈ એલ્યાકીમને યહૂદિયાનો તથા યરુશાલેમનો રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પછી તે એલ્યાકીમના ભાઈ યહોઆહાઝને મિસર લઈ ગયો.
5યહોયાકીમ રાજા બન્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
6પછી બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળથી બાંધીને બાબિલ લઈ ગયો.
7વળી તે ઈશ્વરના સભાસ્થાનની કેટલીક સામગ્રી પણ બાબિલ લઈ ગયો અને તેને પોતાના મહેલમાં રાખી.
8યહોયાકીમ સંબંધીના બનાવો, તેણે કરેલાં ઘૃણાજનક કાર્યો અને જેને માટે તેને ગુનેગાર ઠરાવવાંમાં આવ્યો હતો તે વિષે બધું વિગતવાર ઇઝરાયલના અને યહૂદિયાના રાજાઓનાં પુસ્તકમાં લખેલું છે. તેના પછી તેનો પુત્ર યહોયાખીન રાજા થયો.
9યહોયાખીન જયારે રાજા બન્યો ત્યારે તે આઠ વર્ષનો હતો. તેણે માત્ર ત્રણ માસ અને દસ દિવસ સુધી યરુશાલેમમાં રાજય કર્યુ. તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું.
10વસંતઋતુમાં નબૂખાદનેસ્સાર રાજાએ યરુશાલેમમાં માણસો મોકલ્યા. ત્યાંના ઈશ્વરના સભાસ્થાનની કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. તે સાથે યહોયાખીનને પણ પકડીને બાબિલમાં લઈ જવાયો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમના રાજા તરીકે નિયુક્ત કર્યો.
11સિદકિયા રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ સુધી રાજય કર્યુ.
12તેણે તેના ઈશ્વર પ્રભુની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. ઈશ્વરનાં વચન બોલનાર પ્રબોધક યર્મિયાની આગળ તે દીન થયો નહિ.
13વળી નબૂખાદનેસ્સાર રાજાએ તેને વફાદાર રહેવાને ઈશ્વરના સમ ખવડાવ્યા હતા છતાં તેણે તેની સામે બળવો કર્યો. તેણે તેની ગરદન અક્કડ કરી અને ઇઝરાયલના ઈશ્વર વિરુદ્ધ તેનું હૃદય કઠણ કર્યું.
14તે ઉપરાંત યાજકોના સર્વ આગેવાનો અને લોકોએ પણ બીજા લોકોની જેમ ધિક્કારપાત્ર કાર્યો કરીને પાપ કર્યું. તેઓએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરે પવિત્ર કરેલા સભાસ્થાનને ભ્રષ્ટ કર્યું.
15તેઓના પિતૃઓના ઈશ્વરે વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓની મારફતે તેઓને ચેતવણી આપી, કારણ કે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી.
16પણ તેઓએ ઈશ્વરના સંદેશવાહકોની મશ્કરી કરી, તેના વચનોની ઉપેક્ષા કરી અને પ્રબોધકોને હસી કાઢ્યાં, તેથી ઈશ્વરને તેના લોકો પર એટલો બધો રોષ ચઢ્યો કે આખરે કોઈ જ ઉપાય રહ્યો નહિ.
17તેથી ઈશ્વરે કાસ્દીઓના રાજાને તેમના ઉપર ચઢાઈ કરવા મોકલ્યો. તેણે પવિત્રસ્થાનમાં તેઓના જુવાન માણસોને મારી નાખ્યા. તેણે યુવાન, યુવતી, વૃદ્ધ કે પ્રૌઢ કોઈનાં પર દયા રાખી નહિ. ઈશ્વરે તેઓ સર્વને તેના હાથમાં સોંપી દીધાં.
18ઈશ્વરના સભાસ્થાનની નાનીમોટી બધી જ સામગ્રી તથા તેના ખજાના અને રાજા તેમ જ તેના અધિકારીઓના ખજાના, એ બધું તે બાબિલમાં લઈ ગયો.

19તેઓએ સભાસ્થાન બાળી નાખ્યું. યરુશાલેમનો કોટ તોડી પાડીને જમીનદોસ્ત કરી નાખ્યો. તેના મહેલોને બાળીને ભસ્મ કર્યા. બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો.
20જે લોકો તરવારની ધારથી બચી ગયા હતા, તે લોકોને તે બાબિલ લઈ ગયો. ઈરાનના રાજયના અમલ સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ થઈને રહ્યા.
21આ રીતે યમિર્યાના મુખથી બોલાયેલું ઈશ્વરનું વચન પૂરું થાય માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી એટલે કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો, તેટલાં સમય સુધી દેશે વિશ્રામ પાળ્યો!
22હવે યમિર્યા પ્રબોધક દ્વારા આપવામાં આવેલ યહોવાહનું વચન પૂર્ણ થાય માટે ઈરાનના રાજા કોરેશના પહેલા વર્ષમાં ઈશ્વરે કોરેશને પ્રેરણા કરી. કોરેશને થયેલી ઈશ્વરી પ્રેરણા પ્રમાણે તેણે લિખિત જાહેરાત કરાવી કે,
23“ઈરાનનો રાજા કોરેશ એમ કહે છે કે, આકાશના ઈશ્વર પ્રભુએ મને પૃથ્વીના સર્વ રાજયો આપ્યાં છે. યહૂદિયામાં આવેલા યરુશાલેમમાં સભાસ્થાન બાંધવાની તેમણે મને આજ્ઞા આપી છે, તેમના લોકમાંનો જે કોઈ તમારામાં હોય, તે ત્યાં જાય. તેમના ઈશ્વર પ્રભુ તેમની સાથે હોજો.”