9તું અભિષેકનું તેલ લઈ પવિત્રમંડપનો તથા તેમાંની સર્વ વસ્તુઓનો અભિષેક કરીને તેની તથા તેમાંના બધાં સાધનોની શુદ્ધિ કરજે તેથી એ પવિત્ર થઈ જશે.
10તું વેદીનો અને તેનાં સર્વ સાધનોનો પણ અભિષેક કરીને તેમને શુદ્ધ કરજે તેથી તે પણ અત્યંત પવિત્ર થઈ જશે.
11તું હોજનો અને તેના તળિયાંનો અભિષેક કરીને તેને પવિત્ર કરજે.
12તું હારુનને તથા તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવજે અને તેઓને પાણીથી સ્નાન કરાવજે.
13તું હારુનને પવિત્ર વસ્ત્રો પહેરાવીને તેનો અભિષેક કરજે અને યાજક તરીકે મારી સેવા કરવા માટે તેને પવિત્ર કરજે.
14તું તેના પુત્રોને લાવીને અંગરખાં પહેરાવજે.
15જેમ તેં તેઓના પિતાનો અભિષેક કર્યો હતો તેમ તેઓનો અભિષેક કર. તેઓનો અભિષેક કરવાથી તેઓ અને તેમના વંશજો કાયમ માટે યાજકો બનશે.”
16યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ કર્યું.
17બીજા વર્ષના પ્રથમ માસના પ્રથમ દિવસે પવિત્રમંડપ ઊભો કરવામાં આવ્યો.
18મૂસાએ કૂંભીઓ ગોઠવી, પાટિયાં બેસાડ્યાં, વળીઓ જડી દીધી, ભૂંગળો નાખી તથા તેના સ્તંભો રોપ્યા.
19યહોવાહે તેને આજ્ઞા કરી હતી તે પ્રમાણે પવિત્રમંડપ ઉપર આવરણ પાથરી દીધું અને તેની ઉપર તંબુનું આચ્છાદન કર્યું.
20તેણે સાક્ષ્યલેખ લઈને કોશમાં મૂક્યો અને કોશ પર દાંડા ગોઠવ્યા અને કોશ પર દયાસન મૂક્યું.
21પવિત્રકોશને તે પવિત્રમંડપમાં લાવ્યો અને યહોવાહની આજ્ઞા અનુસાર તેને ઢાંકવા પડદો લટકાવ્યો.
22મુલાકાતમંડપમાં ઉત્તર બાજુએ તેણે પડદાની બહાર મેજ મૂક્યું.
23તેના ઉપર યહોવાહની આજ્ઞા અનુસાર યહોવાહને અર્પેલી રોટલી મૂકી.
24મુલાકાતમંડપની અંદર મેજની સામે દક્ષિણ બાજુએ તેણે દીવી મૂકી.
25યહોવાહની આજ્ઞા મુજબ તેના ઉપર યહોવા સમક્ષ દીવા સળગાવ્યાં.
26મુલાકાતમંડપમાં પડદાની આગળ તેણે સોનાની વેદી મૂકી.
27યહોવાહની આજ્ઞા અનુસાર તેમાં સુંગધી ધૂપ કર્યો.
28પવિત્રમંડપના પ્રવેશદ્વારે તેણે પડદો લટકાવ્યો.
29તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માટે વેદી ગોઠવી અને તેના ઉપર બળેલાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ અર્પણ કરવા આ બધું તેણે યહોવાહની આજ્ઞા મુજબ કર્યું.
30તેણે મુલાકાતમંડપ અને વેદીની વચ્ચે હોજ ગોઠવી અને તેમાં હાથપગ ધોવા માટે પાણી રેડ્યું.
31મૂસા, હારુન અને તેના પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરવા માટે ત્યાં હાથ પગ ધોતા.
32જયારે તેઓ મુલાકાતમંડપમાં જતા અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા, ત્યારે તેઓ સ્નાન કરતા, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
33મૂસાએ પવિત્રમંડપ અને વેદીની ચારેબાજુ આંગણું ઊભુ કર્યું. તેણે આંગણાના પ્રવેશદ્વારે પડદા વડે દરવાજો બનાવ્યો. આ પ્રમાણે મૂસાએ કાર્ય પરિપૂર્ણ કર્યું.