Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - હોશિયા

હોશિયા 4

Help us?
Click on verse(s) to share them!
1હે ઇઝરાયલી લોકો, યહોવાહનું વચન સાંભળો. આ દેશના રહેવાસીઓ સામે યહોવાહ દલીલ કરવાના છે, કેમ કે દેશમાં સત્ય કે વિશ્વાસુપણું કે ઈશ્વરનું ડહાપણ નથી.
2શાપ આપવો, જૂઠું બોલવું, ખૂન કરવું, ચોરી કરવી અને વ્યભિચાર કરવો તે સિવાય બીજું કંઈ જ ચાલતું નથી. લોકો સીમાઓ તોડે છે અને રક્તપાત પાછળ રક્તપાત છે.
3તેથી દેશ વિલાપ કરશે, તેમાં રહેનાર દરેક નિર્બળ થઈ જશે જંગલનાં બધાં પશુઓ, આકાશમાંના બધાં પક્ષીઓ સમુદ્રમાંનાં માછલાં સુદ્ધાં મરતાં જાય છે.
4પણ કોઈએ દલીલ કરવી નહિ; તેમ કોઈએ બીજા માણસ પર આરોપ કરવો નહિ. હે યાજકો, મારી દલીલ તમારી સામે છે.
5હે યાજક તું દિવસે ઠોકર ખાઈને પડશે; તારી સાથે પ્રબોધકો પણ રાત્રે ઠોકર ખાઈને પડશે, હું તારી માતાનો નાશ કરીશ.
6મારા લોકો ડહાપણને અભાવે નાશ પામતા જાય છે, કેમ કે તમે ડહાપણનો અનાદર કર્યો છે તેથી હું પણ તને મારા યાજકપદથી દૂર કરી દઈશ. કેમ કે તું, તારા ઈશ્વરના નિયમ ભૂલી ગયો છે, એટલે હું પણ તારા વંશજોને ભૂલી જઈશ.
7જેમ જેમ યાજકોની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ તેઓ મારી વિરુદ્ધ વધારે પાપો કરતા ગયા. હું તેઓની શોભાને શરમરૂપ કરી નાખીશ.
8તેઓ મારા લોકોનાં પાપ પર નિર્વાહ કરે છે; તેઓ દુષ્ટતા કરવામાં મન લગાડે છે.
9લોકો સાથે તથા યાજકો સાથે એવું જ થશે. હું તેઓને તેઓનાં દુષ્ટ કૃત્યો માટે સજા કરીશ તેઓનાં કામનો બદલો આપીશ.
10તેઓ ખાશે પણ ધરાશે નહિ, તેઓ વ્યભિચાર કરશે પણ તેઓનો વિસ્તાર વધશે નહિ, કેમ કે તેઓ મારાથી એટલે યહોવાહથી દૂર ગયા છે અને તેઓએ મને તજી દીધો છે.
11વ્યભિચાર, દ્રાક્ષારસ તથા નવો દ્રાક્ષારસ તેમની સમજને નષ્ટ કરે છે.
12મારા લોકો લાકડાંની મૂર્તિઓની સલાહ પૂછે છે, તેઓની લાકડીઓ તેઓને ભવિષ્યવાણીઓ કહે છે. કેમ કે અનિચ્છનીય સંગતે તેઓને અવળે માર્ગે દોર્યા છે, તેઓએ પોતાના ઈશ્વરને છોડી દીધા છે.
13તેઓ પર્વતોનાં શિખરો પર બલિદાન કરે છે; ડુંગરો પર, એલોનવૃક્ષો, પીપળવૃક્ષો તથા એલાહવૃક્ષોની નીચે ધૂપ બાળે છે. તેથી તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરે છે.
14જ્યારે તમારી દીકરીઓ વ્યભિચાર કરશે, કે તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ. કેમ કે પુરુષો પોતે જ ગણિકાઓ સાથે વ્યવહાર રાખે છે, દેવદાસીઓની સાથે મંદિરમાં યજ્ઞો કરે છે. આ રીતે જે લોકો સમજતા નથી તેઓનો વિનાશ થશે.
15હે ઇઝરાયલ, જોકે તું વ્યભિચાર કરે, પણ યહૂદિયાને દોષિત થવા દઈશ નહિ. તમે લોકો ગિલ્ગાલ જશો નહિ; બેથ-એવેન પર ચઢશો નહિ. અને “જીવતા યહોવાહના સમ” ખાશો નહિ.
16કેમ કે ઇઝરાયલ અડિયલે વાછરડીની જેમ હઠીલાઈ કરી છે. પછી લીલા બીડમાં હલવાનની જેમ યહોવાહ તેઓને ચારશે.
17એફ્રાઇમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે. તેને રહેવા દો.
18મદ્યપાન કરી રહ્યા પછી, તેઓ વ્યભિચાર કરવાનું ચાલુ રાખે છે; તેના અધિકારીઓ મોહમાં અંધ થઈ ગયા છે.

19પવને તેને પોતાની પાંખોમાં વીંટી દીધી છે; તેઓ પોતાનાં બલિદાનોને કારણે શરમાશે.