7અને ડુક્કર: જોકે તેની ખરી ફાટેલી છે, પણ તે વાગોળતું નથી, તેથી તે તમારે માટે અશુદ્ધ છે.
8તમારે તેઓમાંના કોઈનું માંસ ખાવું નહિ કે તેઓના મૃતદેહનો સ્પર્શ કરવો નહિ. તેઓ તમારે માટે અશુદ્ધ છે.
9જળચરોમાંથી તમે આટલાં ખાઈ શકો: પાણીમાં જે બધાંને પંખ તથા ભિંગડાં હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય.
10પણ સમુદ્રોમાંનાં કે નદીઓમાંનાં જે બધાં જળચરો પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચરોમાંનાં જે સર્વને પંખ તથા ભિંગડાં હોતા નથી, તેઓ તમને નિષેધાત્મક છે.
11કારણ કે તેઓ ઘૃણાપાત્ર છે માટે, તમારે તેઓનું માંસ ખાવું જોઈએ નહિ; તેમના મૃત દેહ પણ ઘૃણાપાત્ર છે.
12પાણીમાંનાં જેઓને પંખ કે ભિંગડાં નથી હોતા તેઓ તમને નિષેધાત્મક છે.
13પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ,
14સમડી, દરેક પ્રકારના બાજ,
15દરેક પ્રકારના કાગડા,
16શાહમૃગ, ચીબરી, સીગલ અને કોઈ પણ પ્રકારનો શકરો.
17ચીબરી, કરઢોક, ઘુવડ,
18રાજહંસ, ઢીંચ, ગીધ,
19બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા.
20સર્વ પાંખવાળાં જંતુઓ જેઓ પગ વડે ચાલતા હોય, તેઓ તારે માટે અમંગળ છે.
21તોપણ પગે ચાલનાર પાંખવાળાં જંતુઓ, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમે ખાઈ શકો છો.
22અને તમે કોઈ પણ પ્રકારના તીડ, બોડમથો તીડ, તમરી અથવા તીતીઘોડો ખાઈ શકો.