1સારી શાખ મૂલ્યવાન અત્તર કરતાં વધારે સારી છે. જન્મના દિવસ કરતાં મૃત્યુનો દિવસ સારો છે.
2ઉજવણીના ઘરમાં જવા કરતાં શોકના ઘરમાં જવું સારું છે. કેમ કે પ્રત્યેક મનુષ્યની જિંદગીનો અંત મૃત્યુ જ છે. જીવતો માણસ તે વાત પોતાના હૃદયમાં ઠસાવી રાખશે.
3હાસ્ય કરતાં ખેદ સારો છે. કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંત:કરણ આનંદ પામે છે.
4જ્ઞાનીનું અંત:કરણ શોકના ઘરમાં હોય છે પણ મૂર્ખનું અંત:કરણ હર્ષના ઘરમાં હોય છે.
5કોઈ માણસે મૂર્ખનું ગીત સાંભળવું તેના કરતાં જ્ઞાનીનો ઠપકો સાંભળવો તે સારું છે
6કેમ કે જેમ સગડી પરના પાત્રની નીચે કાંટાનો ભડભડાટ હોય છે તેમ મૂર્ખનું હાસ્ય છે એ પણ વ્યર્થતા છે.
7નિશ્ચે જુલમ મનુષ્યને મૂર્ખ બનાવે છે, તે તેની સમજશકિતનો નાશ કરે છે.
8કોઈ બાબતના આરંભ કરતાં તેનો અંત સારો છે, અને અભિમાની મનુષ્ય કરતાં ધૈર્યવાન મનવાળો મનુષ્ય સારો છે.
9ક્રોધ કરવામાં ઉતાવળો ન થા કેમ કે ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે.
10“અગાઉના દિવસો હાલનાં કરતાં વધારે સારા હતા એનું કારણ શું છે?” એવું તું ન પૂછ કારણ કે આ વિશે પૂછવું તે ડહાપણ ભરેલું નથી.
11બુદ્ધિ વારસા જેવી ઉત્તમ છે અને સૂર્ય જોનારાઓ માટે તે વધુ ઉત્તમ છે.
12દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે, પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવની રક્ષા કરે છે.
13ઈશ્વરનાં કામનો વિચાર કરો; તેમણે જેને વાંકુ કર્યુઁ છે તેને સીધું કોણ કરી શકશે?
14ઉન્નતિના સમયે આનંદ કર. પણ વિપત્તિકાળે વિચાર કર; ઈશ્વરે એ બન્નેને એકબીજાના સાથી બનાવ્યા છે. જેથી ભવિષ્યમાં શું થશે તેમાંનું કશું જ માણસ શોધી શકતો નથી.
15આ બધું મેં મારા વ્યર્થપણાના દિવસોમાં જોયું છે. એટલે નેક પોતાની નેકીમાં મૃત્યુ પામે છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા હોવા છતાં લાંબુ આયુષ્ય ભોગવે છે.
16પોતાની નજરમાં વધારે નેક ન થા. કે વધારે દોઢડાહ્યો ન થા એમ કરીને શા માટે પોતાનો વિનાશ નોતરે છે?
17અતિશય દુષ્ટ ન થા તેમ જ મૂર્ખ પણ ન થા. તેમ કરીને શા માટે તું અકાળે મૃત્યુ પામે?
18દુષ્ટતાને તું વળગી ન રહે, પણ નેકીમાંથી તારો હાથ પાછો ખેંચી ન લેતો. કેમ કે જે માણસ ઈશ્વરનો ડર રાખે તે એ સર્વમાંથી મુક્ત થશે.
19દશ અમલદારો નગરમાં હોય તેના કરતાં જ્ઞાની માણસને બુદ્ધિ વધારે શક્તિશાળી બનાવે છે.