24બીજે દિવસે તેઓ કાઈસારિયા આવી પહોંચ્યા, તે સમયે કર્નેલ્યસ પોતાનાં સગાંઓને તથા પ્રિય મિત્રોને એકત્ર કરીને તેઓની રાહ જોતો હતો.
25પિતર અંદર આવ્યો ત્યારે કર્નેલ્યસ તેને મળ્યો, અને તેના ચરણે ઝૂકીને દંડવત પ્રણામ કર્યા.
26પણ પિતરે તેને ઉઠાડીને કહ્યું કે, ઊભો થા, હું પણ માણસ છું.
27તેની સાથે વાત કરતાં કરતાં પિતર અંદર ગયો, ત્યારે તેણે ઘણાંને એકઠાં થયેલાં જોયાં;
28તેણે તેઓને કહ્યું કે, તમે પોતે જાણો છો કે બીજી જાતિના માણસોની સાથે સંબંધ રાખવો, અથવા તેના ત્યાં જવું, એ યહૂદી માણસને માટે યોગ્ય નથી; પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે, મારે કોઈ વ્યક્તિને અપવિત્ર અથવા અશુદ્ધ ગણવી નહિ.
29તેથી જ જયારે તમે મને આમંત્રણ આપ્યું ત્યારે કંઈ આનાકાની કર્યા વગર હું આવ્યો; માટે હું પૂછું છું કે, તમે શા કારણથી મને બોલાવ્યો છે?
30કર્નેલ્યસે કહ્યું કે, ચાર દિવસ પહેલાં હું આ જ સમયે મારા ઘરમાં બપોરના ત્રણ કલાકે પ્રાર્થના કરતો હતો; ત્યારે જુઓ, તેજસ્વી પોશાક પહેરેલા એક માણસને મેં મારી સામે ઊભો રહેલો જોયો;
31તે બોલ્યો કે, કર્નેલ્યસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, અને તારાં દાન ઈશ્વરની સમક્ષ સ્મરણમાં આવ્યાં છે.