19તેણે તેને મારી નાખીને તેનું રક્ત વેદીની આસપાસ છાંટ્યું.
20તેણે તે ઘેટાંને કાપીને તેના ટુકડા કર્યા અને તેનું માથું, ચરબી તથા બધા ટુકડાનું દહન કર્યું.
21તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા અને વેદી પર આખા ઘેટાંનું દહન કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબનું એ દહનીયાર્પણ હતું. તે યહોવાહને સારુ હોમયજ્ઞ હતું.
22પછી મૂસાએ બીજા ઘેટાંને, એટલે કે પ્રતિષ્ઠાના ઘેટાંને રજૂ કર્યો અને હારુન તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર હાથ મૂક્યા.
23હારુને તે કાપ્યો અને મૂસાએ તેનું થોડું રક્ત લઈને હારુનના જમણા કાનની ટીશી પર, તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું.
24તે હારુનના પુત્રોને લાવીને તેમના જમણા કાનની ટીશી પર, તેમના જમણા હાથના અંગૂઠા પર તથા તેમના જમણા પગના અંગૂઠા પર થોડું રક્ત લગાડ્યું. પછી મૂસાએ વેદીની ચારે બાજુએ રક્ત છાંટ્યું.
25તેણે ચરબી, જાડી પૂંછડી, આંતરડાં પરની સઘળી ચરબી, કલેજા પરની ચરબી, બન્ને મૂત્રપિંડો અને તેની ચરબી તેમ જ જમણી જાંઘ લીધી.
26જે બેખમીર રોટલીની ટોપલી યહોવાહની સમક્ષ હતી, તેમાંથી તેણે એક બેખમીરી ટુકડો તથા તેલમાં મોહેલી એક નાની રોટલી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણી જાંઘ ઉપર મૂક્યાં.
27તેણે આ બધું હારુન તથા તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવાહ સમક્ષ અર્પણો કર્યા.
28પછી મૂસાએ તે બધું તેમના હાથમાંથી પાછું લઈને દહનીયાર્પણને માટે વેદી પર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને માટે હતા. તે યહોવાહને માટે એક અર્પણની ભેટ હતી.
29મૂસાએ પશુની છાતી લઈને યહોવાહની સમક્ષ તેનું અર્પણ કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, એ તો યાજકના સંકલનના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો.
30મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું રક્ત લઈને હારુન તથા તેનાં વસ્ત્રો પર, તેના પુત્રો પર તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્ત્રો પર છાંટ્યું. આ રીતે તેણે હારુનને તથા તેના વસ્ત્રોને અને તેના પુત્રોને તથા તેઓના વસ્ત્રોને પવિત્ર કર્યાં.
31તેથી મૂસાએ હારુનને તથા તેના પુત્રોને કહ્યું, “મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે માંસ બાફો અને જેમ મેં આજ્ઞા કરીને કહ્યું, 'હારુન તથા તેના પુત્રો તે ખાય,' તે પ્રમાણે તમે પ્રતિષ્ઠાની ટોપલીમાં જે રોટલી છે તેની સાથે તે ત્યાં ખાઓ.
32તે માંસ તથા રોટલીમાંથી જે બાકી રહે તે અગ્નિમાં બાળી નાખજો.
33સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે મુલાકાતમંડપનું પ્રવેશદ્વાર છોડી બહાર જવું નહિ. કેમ કે સાત દિવસ સુધી યહોવાહ તમારી પ્રતિષ્ઠા કરશે.