20 અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેઓને તથા પેલા બે ઘેટાંને યહોવાહની સંમુખ અર્પણ કરે. તે પવિત્ર અર્પણ યાજકને સારુ યહોવાહને અર્પિત થાય.
21 એ જ દિવસે તમારે પવિત્ર મેળાવડાનો ઢંઢેરો પીટવો. તે દિવસે કોઈ સાંસારિક કામ કરવાં નહિ, તમે ગમે ત્યાં રહેતા હોય છતાં તમારા વંશજોને માટે એ સદાનો વિધિ થાય.
22 તમે જયારે પાક લણો, ત્યારે તમારે છેક ખેતરના ખૂણા સુધી પૂરેપૂરું કાપવું નહિ. તેમ જ તેમાંથી પડી રહેલો પાક વીણી લેવો નહિ. તમારે તેને ગરીબો તથા પરદેશીઓ માટે રહેવા દેવો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.'”
23 યહોવાહે મૂસાને કહ્યું,
24 “ઇઝરાયલના લોકોને કહે કે સાતમા માસના પહેલા દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી અને પવિત્ર મેળાવડો કરવો.
25 એ દિવસે તમારે રણશિંગડા વગાડવા અને પવિત્ર મેળાવડો કરવો. તમારે રોજનું કોઈ કામ કરવું નહિ, પરંતુ યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.'”
26 પછી યહોવાહે મૂસાને કહ્યું,
27 “સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.
28 એ દિવસે તમારે કોઈ કામ કરવું નહિ, કેમ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે પ્રાયશ્ચિત કરવું.
29 જે કોઈ તે દિવસે ઉપવાસ નહિ કરે તો તેને તેના લોકોમાંથી અલગ કરવામાં આવશે.
30 જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું યહોવાહ તેના લોકોમાંથી તેનો નાશ કરીશ.
31 તે દિવસે તમારે કોઈપણ પ્રકારનું કામ કરવું નહિ, તમારા રહેઠાણોમાં તમારા લોકોના વંશજો માટે એ સદાનો વિધિ થાય.
32 આ તો પવિત્ર વિશ્રામનો દિવસ છે, માટે તમે ઉપવાસ કરો અને આત્મકષ્ટ કરો. નવમા દિવસની સાંજથી પછીના દિવસની સાંજ સુધી તમારે વિશ્રામ પાળવો.”
33 યહોવાહે મૂસાને કહ્યું,
34 “ઇઝરાયલના લોકોને એમ કહે કે, આ સાતમા મહિનાના પંદરમા દિવસે યહોવાહનું માંડવાપર્વ છે અને તે સાત દિવસ સુધી ચાલશે.
35 પ્રથમ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તમારે એ દિવસે કોઈ કાર્ય કરવું નહિ.
36 પર્વના સાતેય દિવસ તમારે યહોવાહ સમક્ષ હોમયજ્ઞો અર્પણ કરવા. આઠમા દિવસે ફરીથી પવિત્ર મેળાવડો કરવો અને ફરીથી હોમયજ્ઞો અર્પણ કરવા. આ પછી પર્વની ઊજવણી પૂરી કરવી, આ દિવસે પણ તમારે કોઈ પણ સાંસારિક કામ કરવાં નહિ.
37 આ બધા યહોવાહના વાર્ષિક પર્વો છે. આ પર્વો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનીયાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાહને અર્પણ કરવા.
38 યહોવાહના વિશ્રામવારો, તમારા દાન તથા તમારી સર્વ માનતાઓ તથા તમારા સર્વ ઐચ્છિકાર્પણો જે તમે યહોવાહને અર્પણ કરો છો તે ઉપરાંત એ છે.
39 તેમ છતાં સાતમા માસના પંદરમા દિવસે જમીનની ઊપજનો સંગ્રહ કરી રહ્યા બાદ તમારે યહોવાહને સારુ સાત દિવસ સુધી આ પર્વ ઊજવવું. પહેલો દિવસ અને આઠમો દિવસ પવિત્ર વિશ્રામ પાળવો.