37 જે મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું હતું કે, 'ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભા કરશે,' તે એ જ છે.
38 જે મૂસા અરણ્યમાંના સમુદાયમાં હતો, જેની સાથે સિનાઈ પર્વત પર ઈશ્વરનો સ્વર્ગદૂત વાત કરતો હતો, અને આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે; અને આપણને આપવા સારું તેને જીવનનાં વચનો આપવામાં આવ્યાં;
39 આપણા પૂર્વજોએ તેને આધીન થવાને ઇચ્છ્યું નહિ, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂકયો, અને તેઓ પાછા મિસર જવાને મનમાં આતુર થયા;
40 તેઓએ હારુનને કહ્યું કે, 'અમારી આગળ ચાલવા સારુ અમારે માટે દેવો બનાવ; કેમ કે એ મૂસા જે અમને મિસરમાંથી દોરી લાવ્યો તેનું શું થયું એ અમે જાણતા નથી.'
41 તે દિવસોમાં તેઓએ સોનાનું વાછરડું બનાવ્યું, અને મૂર્તિને તેનું બલિદાન ચઢાવ્યું, અને પોતાના હાથની કૃતિમાં તેઓ હર્ષ પામ્યા.
42 પણ ઈશ્વરે તેઓથી વિમુખ થઈને તેઓને તજી દીધાં, કે તેઓ આકાશના સૈન્યની પૂજા કરે; પ્રબોધકોના પુસ્તકમાં લખ્યું છે તે પ્રમાણે, 'ઓ ઇઝરાયલના વંશજો, અરણ્યમાં ચાળીસ વર્ષ સુધી શું તમે યજ્ઞ તથા બલિદાનો મને ચઢાવ્યાં હતાં?
43 તમે મોલોખનો માંડવો તથા રમ્ફા દેવનો તારો, એટલે કે પૂજા કરવાને તમે જે મૂર્તિઓ બનાવી તેઓને ઊંચકીને ચાલ્યા. હવે હું તમને બાબિલથી આગળ લઈ જઈશ.'
44 જેમણે મૂસાને કહ્યું કે, જે નમૂનો તેં નિહાળ્યો છે તે પ્રમાણે તારે સાક્ષ્યમંડપ બનાવવો, તેમના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે તે સાક્ષ્યમંડપ હતો.
45 આપણા પૂર્વજો, યહોશુઆ સહિત આ સાક્ષ્યમંડપને પોતાના ક્રમાનુસાર ઊંચકીને અન્ય દેશજાતિઓનું જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી તેઓનું વતન પ્રાપ્ત કરીને તેમાં લાવ્યા તે સાક્ષ્યમંડપ દાઉદના સમય સુધી રહ્યો.
46 દાઉદ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ થઈ; તેમણે યાકૂબના ઈશ્વરને સારુ ઘર બનાવવાની રજા માગી;
47 પણ સુલેમાને તેમને સારુ ભક્તિસ્થાન નિર્માણ કર્યું.
48 તોપણ હાથે બાંધેલા ઘરમાં પરાત્પર ઈશ્વર રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ,
49 'સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય?
50 શું, મેં મારે હાથે એ બધાં નથી બનાવ્યાં?'
51 ઓ સખત હઠીલાઓ, અને બેસુન્નત મન તથા કાનવાળાઓ, તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.
52 પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યા નહોતા? જેઓએ તે ન્યાયીના આવવા વિષે અગાઉથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા; અને હવે તમે, જેઓને સ્વર્ગદૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ.
53 તે તમે, તે ન્યાયી ને પરસ્વાધીન કરનારા તથા તેમની હત્યા કરનારા થયા છો.”
54 આ વાતો સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયા, અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા.
55 પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને સ્તેફને સ્વર્ગ તરફ એક નજરે જોઈ રહેતાં, ઈશ્વરનું ગૌરવ તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલા જોયા.