27 તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે, એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા માનવજગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે.
28 એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા, અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, 'એફેસીઓની આર્તેમિસની જય!'
29 આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા.
30 જયારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઇચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ.
31 આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવ્યું 'તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહિ.
32 તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા.
33 તેઓ યહૂદીઓ એલેકઝાન્ડરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે એલેકઝાન્ડર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો.
34 પણ તે યહૂદી છે, એ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ સર્વએ આશરે બે કલાક સુધી એકસામટા અવાજે બૂમ પાડી કે, 'એફેસીઓની આર્તેમિસની જય!'