7 અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે, ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.
8 અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,
9 અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.
10 તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?
11 પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ.
12 ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી.
13 તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે, ભાઈઓ, મારું સાંભળો;
14 પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે.
15 પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,
16 “એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;
17 એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;
18 પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.”