1 જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે વિદ્યા પણ ચાહે છે, પણ જે વ્યક્તિ ઠપકાને ધિક્કારે છે તે પશુ જેવો છે.
2 સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે, પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠેરવશે.
3 માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ, પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહિ.
4 સદગુણી સ્ત્રી તેના પતિને મુગટરૂપ છે, પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે.
5 નેકીવાનના વિચાર ભલા હોય છે, પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે.
6 દુષ્ટની વાણી રક્તપાત કરવા વિષે હોય છે, પણ પ્રામાણિક માણસનું મુખ તેને બચાવશે.
7 દુષ્ટો ઉથલી પડે છે અને હતા નહતા થઈ જાય છે, પણ સદાચારીનું ઘર કાયમ ટકી રહે છે.
8 માણસ પોતાના ડહાપણ પ્રમાણે પ્રસંશા પામે છે, પણ જેનું હૃદય દુષ્ટ છે તે તુચ્છ ગણાશે.
9 જેને અન્નની અછત હોય અને પોતાને માનવંતો માનતો હોય તેના કરતાં જે નિમ્ન ગણાતો હોય પણ તેને ચાકર હોય તો તે શ્રેષ્ઠ છે.
10 ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે, પણ દુષ્ટ માણસની દયા ક્રૂરતા સમાન હોય છે.
11 પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે; પણ નકામી વાતો પાછળ દોડનાર મૂર્ખ છે.
12 દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે, પણ સદાચારીનાં મૂળ તો ફળદ્રુપ છે.
13 દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેઓને પોતાને માટે ફાંદો છે, પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે.
14 માણસ પોતે બોલેલા શબ્દોથી સંતોષ પામશે અને તેને તેના કામનો બદલો પાછો મળશે.