15 આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.
16 નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે.
17 આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી; અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી.
19 તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે
20 જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,
21 તો શું ઈશ્વર તે શોધી ન કાઢત? કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે.
22 કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ; કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે.
23 હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો? ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે? અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
25 કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે; અને અમે પેટ ઘસડતા થયાં છીએ.
26 અમને મદદ કરવાને ઊઠો અને તમારી કૃપાથી અમને છોડાવો.