Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 રાજઓ

1 રાજઓ 5

Help us?
Click on verse(s) to share them!
1તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે લોકોએ તેને તેના પિતાને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો હતો; હીરામ હમેશાં દાઉદ પર પ્રેમ રાખતો હતો.
2સુલેમાને હીરામ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું,
3“તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેમાં જ્યાં સુધી યહોવાહે વિરોધીઓને હરાવ્યા નહિ, ત્યાં સુધી તેઓને લીધે પોતાના ઈશ્વર યહોવાહના નામને અર્થે તે ભક્તિસ્થાન બાંધી શક્યા નહિ.
4પણ હવે, મારા ઈશ્વર યહોવાહે મને ચારે તરફ શાંતિ આપી છે. ત્યાં કોઈ શત્રુ નથી કે કંઈ આપત્તિ નથી.
5તેથી જેમ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું હતું, 'તારા જે દીકરાને હું તારે સ્થાને તારા રાજ્યાસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ભક્તિસ્થાન બાંધશે.' તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાહના નામને અર્થે ભક્તિસ્થાન બાંધવાનો ઇરાદો રાખું છું.
6તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”
7જયારે હીરામે સુલેમાનની વાતો સાંભળી, ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, “આજે યહોવાહની સ્તુતિ થાઓ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”
8હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ.
9મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”
10તેથી હીરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજવૃક્ષોનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં.
11સુલેમાને હીરામના ઘરનાંને ખોરાકી બદલ વીસ હજાર માપ ઘઉં અને વીસ હજાર માપ શુદ્ધ તેલ આપ્યું. સુલેમાન હીરામને વર્ષોવર્ષ એ પ્રમાણે આપતો.
12યહોવાહે સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હીરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બન્નેએ અરસપરસ કરાર કર્યો.
13સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી સખત પરિશ્રમ કરનારું લશ્કર ઊભું કર્યું; તે લશ્કર ત્રીસ હજાર માણસોનું હતું.
14તે તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને દસ હજાર માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઊપરી હતો.
15સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા.
16સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનારા તથા કામ કરનાર મજુરો પર અધિકાર ચલાવનારા ત્રણ હજાર ત્રણ સો મુખ્ય અધિકારીઓ હતા.
17રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી ભક્તિસ્થાનનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતાં હતા.
18તેથી સુલેમાનનું ઘર બાંધનારા, હીરામનું ઘર બાંધનારા તથા સલાટો આ પથ્થરોને ઘડતા હતા અને ભક્તિસ્થાન બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.