Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - સભાશિક્ષક - સભાશિક્ષક 2

સભાશિક્ષક 2:8-26

Help us?
Click on verse(s) to share them!
8મેં મારા માટે ઘણું સોનું, ચાંદી અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી.
9એમ હું પ્રતાપી થયો. અને જેઓ યરુશાલેમમાં મારી અગાઉ થઈ ગયા હતા તે સર્વ કરતાં હું વધારે સમૃદ્ધિ પામ્યો. મારું જ્ઞાન પણ મારામાં કાયમ રહ્યું.
10મને જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેનાથી હું પાછો પડયો નહિ. મેં મારા હ્રદયને કોઈ પણ પ્રકારના આનંદથી રોક્યું નહિ, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન પ્રસન્નતા પામ્યું, મારા સઘળા પરિશ્રમનો એ બદલો હતાં.
11જયારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા, તે પર અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તો એ સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠી ભરવા જેવું દેખાયું અને પૃથ્વી પર મને કઈ લાભ દેખાયો નહિ.
12હવે મેં જ્ઞાન, પાગલપણું અને મૂર્ખતા જોવાને લક્ષ આપ્યું. કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું કરી શકે છે? અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ તે કરી શકે છે.
13પછી મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઈથી શ્રેષ્ઠ છે.
14જ્ઞાની માણસની આંખો તેનાં માથામાં હોય છે. અને મૂર્ખ અંધકારમાં ચાલે છે એમ છતાં મને માલૂમ પડ્યું કે, તે સર્વનાં પરિણામ સરખાં જ આવે છે.
15ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેવું મને પણ થવાનું જ છે. તો મને તેના કરતાં વધારે બુદ્ધિમાન હોવામાં શો લાભ?” ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, “એ પણ વ્યર્થતા છે.”
16મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી અને જે હાલમાં છે તેઓ આવનાર દિવસોમાં ભૂલાઈ જશે. મૂર્ખની જેમ જ જ્ઞાની પણ મરે છે.
17તેથી મને જિંદગી પર ધિક્કાર ઊપજ્યો કેમ કે પૃથ્વી પર જે કામ કરવામાં આવે છે તે મને દુઃખદાયક લાગ્યું. માટે સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવા જેવું છે.
18તેથી પૃથ્વી પર જે સર્વ કામ મેં શ્રમ વેઠીને ઉપાડ્યાં તેથી મને ધિક્કાર ઊપજ્યો. કેમ કે મારા પછી થનાર માણસને માટે તે સર્વ મૂકીને જવું પડશે.
19વળી તે માણસ જ્ઞાની થશે કે મૂર્ખ તે કોણ જાણે છે? છતાં જેના માટે મેં પરિશ્રમ કર્યો અને પૃથ્વી પર જેના માટે મારા ડહાપણનો ઉપયોગ કર્યો તે સર્વ પર તે અધિકાર ભોગવશે. આ પણ વ્યર્થતા છે.
20તેથી હું ફર્યો, અને પૃથ્વી પર જે સર્વ કામો માટે મેં પરિશ્રમ કર્યો હતો તે પ્રત્યે મેં મારા મનને નિરાશ કર્યું.
21કોઈ એવું મનુષ્ય હોય છે કે જેનું કામ ડહાપણ, જ્ઞાન તથા કુશળતાથી કરેલું હોય છે. તોપણ તેમાં જેણે મહેનત નહિ કરી હોય એવા વ્યક્તિને વારસામાં આપી જશે. આ વ્યર્થતા તથા મોટો અનર્થ છે.
22પોતાનું સર્વ કામ સફળતાથી કરવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માણસ દુનિયામાં પરિશ્રમ કરે છે પણ તેમાંથી તેને શું ફળ પ્રાપ્ત થાય છે?
23કેમ કે તેના બધા દિવસો શોકમય તથા તેનો સઘળો પરિશ્રમ દુ:ખરૂપ છે, રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી. એ પણ વ્યર્થતા છે.
24ખાવું, પીવું અને પોતાના કામમાં આનંદ માણવો તેનાં કરતાં વધારે સારું મનુષ્ય માટે બીજું કશું નથી. પછી મને માલૂમ પડ્યું કે આ ઈશ્વરના હાથથી જ મળે છે.
25પરંતુ ઈશ્વરની કૃપા વિના કોણ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે?
26કેમ કે જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે. પણ પાપીને તે ફોગટ પરિશ્રમ આપે છે જેથી ઈશ્વરને પ્રસન્ન કરનારને માટે તે ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનથી મૂઠ્ઠી ભરવા જેવું છે.

Read સભાશિક્ષક 2સભાશિક્ષક 2
Compare સભાશિક્ષક 2:8-26સભાશિક્ષક 2:8-26