11જયારે જે બધાં કામો મેં મારે હાથે કર્યાં હતા, તે પર અને જે મહેનત કરવાનો મેં શ્રમ ઉઠાવ્યો હતો તે પર મેં નજર કરી તો એ સઘળું વ્યર્થ તથા પવનને મૂઠ્ઠી ભરવા જેવું દેખાયું અને પૃથ્વી પર મને કઈ લાભ દેખાયો નહિ.
12હવે મેં જ્ઞાન, પાગલપણું અને મૂર્ખતા જોવાને લક્ષ આપ્યું. કેમ કે રાજાની પાછળ આવનાર માણસ શું કરી શકે છે? અગાઉ જે કરવામાં આવ્યું હોય તે જ તે કરી શકે છે.
13પછી મેં જોયું કે જેટલે દરજ્જે અજવાળું અંધકારથી શ્રેષ્ઠ છે, તેટલે દરજ્જે જ્ઞાન મૂર્ખાઈથી શ્રેષ્ઠ છે.
14જ્ઞાની માણસની આંખો તેનાં માથામાં હોય છે. અને મૂર્ખ અંધકારમાં ચાલે છે એમ છતાં મને માલૂમ પડ્યું કે, તે સર્વનાં પરિણામ સરખાં જ આવે છે.
15ત્યારે મેં મારા મનમાં વિચાર્યું કે, જેમ મૂર્ખને થાય છે તેવું મને પણ થવાનું જ છે. તો મને તેના કરતાં વધારે બુદ્ધિમાન હોવામાં શો લાભ?” ત્યારે મેં મારા મનમાં કહ્યું કે, “એ પણ વ્યર્થતા છે.”
16મૂર્ખ કરતાં જ્ઞાનીનું સ્મરણ વધારે રહેતું નથી અને જે હાલમાં છે તેઓ આવનાર દિવસોમાં ભૂલાઈ જશે. મૂર્ખની જેમ જ જ્ઞાની પણ મરે છે.