Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 17

પ્રેરિતોનાં કૃત્યો 17:6-30

Help us?
Click on verse(s) to share them!
6પણ પાઉલ અને સિલાસ તેઓને મળ્યા નહિ ત્યારે યાસોનને તથા કેટલાક ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે ખેંચી જઈને તેઓએ બૂમ પાડી કે, 'આ લોક કે જેઓએ દુનિયાને ઉથલપાથલ કરી છે તેઓ અહીં પણ આવ્યા છે.
7યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારના ફરમાનની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ નામે બીજો એક રાજા છે.'
8તેઓની એ વાતો સાંભળીને લોકો તથા શહેરના અધિકારીઓ ગભરાયા.
9ત્યારે તેઓએ યાસોનને તથા બીજાઓને જામીન પર છોડી દીધાં.
10પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધાં; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા.
11થેસ્સાલોનિકાના લોક કરતા તેઓ અધિક ગુણવાન હતા, કેમ કે તેઓ મનની પૂરી આતુરતાથી વચનોનો અંગીકાર કરીને, એ વચનો એમ જ છે કે નહિ, એ વિષે નિત્ય પવિત્રશાસ્ત્ર તપાસતા હતા.
12તેઓમાંના ઘણાંઓએ વિશ્વાસ કર્યો, આબરૂદાર ગ્રીક સ્ત્રીઓ તથા પુરુષોમાંના પણ ઘણાંએ વિશ્વાસ કર્યો.
13પણ જયારે થેસ્સાલોનિકાના યહૂદીઓએ જાણ્યું કે પાઉલ ઈશ્વરનું વચન બૈરિયામાં પણ જાહેર કરે છે ત્યારે ત્યાં પણ આવીને તેઓએ લોકોને ઉશ્કેરી મૂક્યા.
14ત્યારે ભાઈઓએ તરત પાઉલને સમુદ્ર સુધી મોકલી દીધો, પણ સિલાસ તથા તિમોથી ત્યાં જ રહ્યા.
15પણ પાઉલને મૂકવા જનારાંઓએ તેને આથેન્સ સુધી પહોંચાડ્યો. પછી સિલાસ તથા તિમોથી તેની પાસે વહેલી તકે આવે, એવી આજ્ઞા એમને સારુ લઈને તેઓ વિદાય થયા.
16અને પાઉલ આથેન્સમાં તેઓની રાહ જોતો હતો એટલામાં તે શહેરમાં ઠેરઠેર મૂર્તિઓને જોઈને તેનો અંતરાત્મા ઊકળી ઊઠ્યો.
17તે માટે તે સભાસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, ચોકમાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદવિવાદ કરતો હતો.
18ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક મત માનનારા પંડિતોમાંના કેટલાક તેની સામા થયા, તેઓમાંના કેટલાકે કહ્યું કે, આ ગુપ્ત વાત પ્રગટ કરનાર શું કહેવા માગે છે? બીજા કેટલાકે કહ્યું કે, અજાણ્યા દેવોને પ્રગટ કરનારો દેખાય છે; કેમ કે તે ઈસુ તથા મરણોત્થાન વિષે ઉપદેશ કરતો હતો.
19તેઓ તેને એરિયોપગસમાં લઈ ગયા, અને કહ્યું કે, જે નવો ઉપદેશ તું કરે છે તે અમારાથી સમજાય એમ છે?
20કેમ કે તું અમોને કેટલીક નવીન વાતો સંભળાવે છે; માટે તેનો અર્થ અમે જાણવા ઇચ્છીએ છીએ.
21(હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ, કંઈ નવા વચન કહેવા અથવા સાંભળવા તે સિવાય બીજા કશામાં પોતાનો સમય ગાળતા ન હતા.)
22પાઉલે એરિયોપગસની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, 'આથેન્સના સદ્દગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.
23કેમ કે જે દેવ દેવીઓને તમે ભજો છો તેઓને હું માર્ગોમાં ચાલતા ચાલતા જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેનાં પર એવો લેખ કોતરેલો હતો કે, “અજાણ્યા દેવના માનમાં;” માટે જેને તમે જાણ્યાં વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.
24જે ઈશ્વરે સૃષ્ટિ તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા ભક્તિસ્થાન રહેતાં નથી.
25અને જાણે તેમને કશાની ગરજ હોય એમ માણસોના હાથની સેવા તેમને જોઈએ છે એવું નહિ, કેમ કે જીવન, શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે.
26તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી.
27એ માટે કે તેઓ ઈશ્વરને શોધે, કે કદાપિ તેઓ તેમને માટે શોધીને તેમને પામે; પરંતુ ઈશ્વર આપણામાંના કોઈથી દુર નથી.
28કેમ કે આપણે તેમનાંમાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, 'આપણે પણ તેમના વંશજો છીએ.'
29હવે આપણે ઈશ્વરના વંશજો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના કે રૂપા કે પથ્થરના જેવા છે.
30એ અજ્ઞાનપણાના સમયો પ્રત્યે ઈશ્વરે ઉપેક્ષા કરી ખરી; પણ હવે સર્વ સ્થળે સઘળાં માણસોને પસ્તાવો કરવાની તે આજ્ઞા કરે છે.

Read પ્રેરિતોનાં કૃત્યો 17પ્રેરિતોનાં કૃત્યો 17
Compare પ્રેરિતોનાં કૃત્યો 17:6-30પ્રેરિતોનાં કૃત્યો 17:6-30