Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 37

ગીતશાસ્ત્ર 37:1-27

Help us?
Click on verse(s) to share them!
1દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ; અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ.
2કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે.
3યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.
4પછી તું યહોવાહમાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.
5તારા માર્ગો યહોવાહને સોંપ; તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.
6તે તારું ન્યાયીપણું અજવાળાની માફક અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.
7યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.
8ખીજવાવાનું બંધ કર અને ગુસ્સો કરીશ નહિ. ચિંતા ન કર; તેથી દુષ્કર્મ જ નીપજે છે.
9દુષ્કર્મીઓનો વિનાશ થશે, પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.
10થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.
11પણ નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.
12દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે.
13પ્રભુ તેની હાંસી કરશે, કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.
14નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે દુષ્ટોએ તરવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.
15તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
16નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.
17કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે, પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે.
18યહોવાહ યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે
19જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી. જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.
20પણ દુષ્ટો નાશ પામશે. યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે; તેમ નાશ પામશે.
21દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી, પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.
22જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે, જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે.
23માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.
24જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.
25હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.
26આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.
27બુરાઈથી દૂર થા અને ભલું કર; અને સદાકાળ દેશમાં રહે.

Read ગીતશાસ્ત્ર 37ગીતશાસ્ત્ર 37
Compare ગીતશાસ્ત્ર 37:1-27ગીતશાસ્ત્ર 37:1-27